અમદાવાદ : રાજ્યમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેના ભાગરૂપે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આજે અમદાવાદ ખાતે મિશન પાની અભિયાન અંતર્ગત એક ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પાણી સમસ્યાના પાણીદાર ઉકેલ તરફ કરવામાં આવેલી પહેલમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહભાગી થયા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે સૌરભ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. હાર્પિક અને વાસમોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યની પાણીની જટિલ સમસ્યાઓ તેમજ તેના સકારાત્મક ઉકેલ અંગે બંને મહાનુભાવોએ પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. કાર્યક્રમમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે જેવી રીતે પીએમ મોદી કહે છે એમ પાણીને તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન છે પરંતુ તેને ઇશ્વરના પ્રસાદની જેમ વાપરવું જોઈએ. ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ,“આજે રાજ્યના લબ્ધપ્રતિષ્ઠિત અગ્રણીઓ જન જાગૃતિ દ્વારા પાણી બચાવવા માટે કામ કરી રહ્યા છે, તેવા મહાનુભાવો ઉપસ્થિત છે તેનો મને આનંદ છે. હવે ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે તો પાણી માટે લડાશે તે વાક્ય પ્રચલિત થઈ ગયું છે. આવું બનવાનું નથી આપણે બનવા પણ દેવા નથી માંગતા પરંતુ આપણને સમજાવા માટે સૌથી ઉચ્ચતમ ઈશારો આ છે. હું ન્યૂઝ 18નો આભાર માનું છું કે અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી અને નીતિન ગડકરીજી સાથે મળી સમગ્ર દેશને જાગૃત કરવા માટે નવી પેઢીને આ વિષયની ગંભીરતા સમજાવા માટે આ પ્રકારના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. અનાદીકાળથી પાણી હશે જ એવું આપણે માનીએ છે. શાસ્ત્રોમાં ભારતીય સંસ્કૃતિમાં હજારો લાખો વર્ષથી નદીઓના વર્ણન જોઈએ છે. આપણા શાસ્ત્રો ધર્મ ગ્રંથોમાં પાણીને મહત્ત્વ આપવામાં આવ્યું છે. જયાં પાણી નથી ત્યાં રણ છે, જ્યાં રણ છે ત્યાં પાણી નથી.”   તેમણે ઉમેર્યુ, “આમ પાણી અને વૃક્ષોને સીધો સંબંધ છે. વૃક્ષો વાવો વરસાદ લાવો આને સીધો સંબંધ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વૉર્મિંગનો પ્રશ્ન ગંભીર બન્યો છે એ પણ આની સાથે સંકળાયેલો છે. પાણી ન હોય એટલે આપોઆપ ગ્લોબલ વોર્મિંગનો વધારો થાય છે. તાજેતરમાં જ પાણીનું લેવલ ઉંચું આવતા વેનિસ શહેર ડુબ્યું એ પણ ગ્લોબલ વોર્મિંગનો ભાગ છે. પાણી પૂરતું હોય, સારૂં હોય, નિયમીત હોય તો ઘણા ઘણા પ્રશ્નો ઉપસ્થિત ન થાય. ફક્ત પાણી નહીં શુદ્ધ પાણી જરૂરી છે. આપણે ગુજરાતમાં પહેલાં ફ્લોરાઇડ વાળું પાણી જ પીતા હતા. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો ડાર્કઝોનમાં હતા. વડાપ્રધઆન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ બાબતે ખૂબ ચિંતા થઈ અને સર્ફેસ વૉટર લોકો સુધી પહોંચાડવાનું કામ થયું. આજે ગુજરાતની 6.15 કરોડની વસતિમાંથી 4 કરોડને નર્મદાનું પાણી પહોંચાડીએ છીએ. સુરતને તાપી મૈયાનું પાણી પહોંચે છે. રાજ્યમાં ખૂબ ઓછો વિસ્તાર બાકી છે જ્યાં શુદ્ધ આરોગ્ય પાણી નથી. જ્યાં થોડું ઘણું પણ બાકી છે ત્યાં કામો પુરા થવા પર છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે ,“સારૂં પાણી ન હોય અને પૂરતું પાણી ન હોય તો પૂરતું અનાજ ખાવા ન મળે. યોગ્ય ખેતી ન થાય. રાજ્યમાં આપણે બે દાયકા પહેલાં પાણીનું મહત્ત્વ સમજ્યા હતા. રાજ્યમાં રોજ 2 કરોડ લીટર કરતા દૂધ સહકારી સંસ્થાની ડેરીમાં પ્રાપ્ત થાય છે. આ દૂધ લાખો ગાયો ભેસોમાંથી મેળવીએ છીએ. તેમનો ઘાસચારો અને પીવાનું પાણી પણ જોઈએ. પાણી ભગવાનની પ્રસાદીરૂપ છે. પાણીને પ્રસાદની જેમ વાપરવાની જરૂર છે. જેમ પ્રસાદ આપણે બગડવા દેતા નથી તેવી રીતે પાણીનું વ્યસ્થાપન મોટો વિષય છે. ” વરસાદનું દરેક ટીપું સાચવીને અને વારંવાર વાપરવું : સૌરભ પટેલ રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે “પાણીની ખૂબ મહત્ત્વતા સૌ જાણે છે પરંતુ હવે સમય છે કે વરસાદનું દરેક ટીપું સાચવીને અને વારંવાર વાપરવું જોઈએ અને આવી રીતે જ સરકારના નીતિ, નિયમ ઘડવાની જરૂર છે. રાજ્યમાં ભાજપની સરકાર આવી ત્યારબાદ સરદાર સરોવરની ક્ષમતા વારંવાર વધતી રહી. જો સરદાર સરોવરની ઉંચાઈ 60ના દશકથી વધી રહી હોત તો ગુજરાત ક્યાં હોત? પોલિટીકલ વીલના કારણે આ કામ થયું. હવે નવો મહત્ત્વનો પ્રશ્ન નદીઓનું એક બીજા સાથે જોડાણ છે. આ મુદ્દો આખા દેશ માટે મહત્ત્વનો છે. એક જગ્યાએ અતિવૃષ્ટી હોય અને બીજી બાજુ દુષ્કાળ હોય તો પહોંચી વળાય. બધા જ ડેમોમાંથી ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી મળે તો જ પાણી બચાવી શકાય.”